કોરોનાની બીજી લહેરમાં મોટી સંખ્યામાં લોકો સંક્રમિત થઈ રહયાં છે ત્યારે વેક્સિન એ સંક્રમણ સામે સૌથી અસરકારક ઉપાય છે. અત્યારે જિલ્લામાં 45થી વધુ ઉંમરના તમામ લોકોને વેક્સિન આપવાનું અભિયાન ચાલી રહયું છે. સૌ નાગરિકો જેમનો વારો આવતો હોય તેમણે સત્વરે વેક્સિનનો લાભ લઈ લેવો જોઈએ, તેમ જિલ્લા પંચાયત ખાતે R.C.H.O. તરીકે ફરજ બજાવતા ડો. સુજીત પરમાર જણાવે છે. તેમણે વેક્સિનના બે ડોઝ લીધા છે અને બધાને સત્વરે વેક્સિન લેવા તેઓ જણાવે છે.
તેઓ જણાવે છે કે, “મેં કોરોનાની વેક્સિનના બંને ડોઝ લીધા છે, આપ સૌને મારી વિનંતી છે કે, 45થી વધુ ઉંમરના તમામ લોકો જેમને વેક્સિન લીધી ન હોય તેઓ સત્વરે વેક્સિન લઇ લે. કોરોનાના બીજા વેવથી સર્જાયેલી કપરી પરિસ્થિતિ સામે વેક્સિન જ એક કારગર ઉપાય છે. વેક્સિન મૂક્યા બાદ કોરોના થાય તો પણ વ્યક્તિ તેની ગંભીર અસરોથી બચી શકે છે. લગભગ દવાખાને દાખલ થવાની પણ જરૂર નથી પડતી. આ વેક્સિનથી અનેક લોકોએ પોતાને સુરક્ષિત કર્યા છે. વેક્સિન ન લઈને જીવનને જોખમમાં ન મૂકવું. કોરોના સંક્રમણથી બચવા માટે વેક્સિન જ સૌથી અસરકારક ઉપાય છે.’’