કોરોના બાદ હવે અમદાવાદમાં મ્યુકરમાઇકોસિસના ઇન્જેક્શનની કાળાબજારી

ખોરાક અને ઔષધ નિયમન તંત્ર કમિશ્નર ડૉ. એચ.જી.કોશિયાએ જણાવ્યું છે કે, કોરોના મહામારીમાં મ્યુકરમાઈકોસીસની સારવાર માટે Amphotericin-B Injection IP 50mgનો અતિ આવશ્યક દવા તરીકે ઉપયોગ થાય છે. Amphotericin-B ઇન્જેક્શનની અમદાવાદ ખાતે હોટલ TGBની ગલીમાં એક વ્યક્તિ કાળાબજારી કરતો હોવાનો સંકેત તંત્રને મળતા તંત્ર દ્વારા રેડ કરવામાં આવી હતી.

આ રેડ દરમિયાન ઇન્જેક્શનની કાળાબજારી કરી રહેલા સંકેત પટેલને 2 ઇન્જેક્શન અને રૂપિયા 12 હજારના મુદ્દામાલ સાથે ઝડપી લેવામાં આવ્યો છે. સંકેત પટેલને ઝડપી લેવામાં આવતા આવા લેભાગુ તત્ત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે અને તેઓ ભૂગર્ભમાં જતા રહ્યા છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ ઇન્જેક્શન ઉપર કોઇપણ પ્રકારની વિગતો જેમ કે, દવાના ઉત્પાદકનું નામ, લાયસન્સ નંબર વગેરે વિગતો દર્શાવેલી ન હતી. આમ આ દવા બનાવટી હોવાની પૂરેપૂરી શક્યતા દર્શાઈ રહી છે. આ દવાનો નમૂનો ખોરાક અને ઔષધ લેબમાં ચકાસણી માટે મોકલી આપવામાં આવ્યો છે.

આ ઇન્જેક્શન ક્યાંથી અને કોની પાસે મેળવ્યા તે અંગે અધિકારીઓએ સઘન પૂછપરછ કરતાં જાણવા મળ્યુ  છે કે અમદાવાદની હોટલ TGBની ગલીમાં આવેલી ગ્લોબલ મેડીકલ સ્ટોરના સંચાલક પવન પટેલના મેળાપીપળામાં આ ઇન્જેક્શનનું ખરીદ વેચાણ થયું હતું. આ ઇન્જેક્શન તેમણે અડાલજના અટલ આવાસ યોજનામાં રહેતા તેમના રૂમ પાર્ટનર જીગ્નેશ ચૌહાણ પાસેથી મેળવ્યા હોવાનું જાણવા મળ્યું છે. આ બાબતે ખોરાક અને ઔષધ નિયમન તંત્રએ સઘન તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *