વિશ્વ પર્યાવરણ દિન: મરેલુ વૃક્ષ પાંચ હજારનું પરંતુ જીવતું વૃક્ષ 16 લાખનું વૃક્ષ

સમાજમાં એક પ્રચલિત ઉક્તિ છે, ‘‘જીવતો હાથી લાખનો અને મરેલો હાથી સવા લાખનો’’ પરંતુ વૃક્ષની બાબતમાં આ ઉક્તિથી ઉલટુ છે, ‘‘મરેલું વૃક્ષ પાંચ હજારનું પણ જીવતું વૃક્ષ રૂ. 15.70 લાખનું’’ એટલે કે સોળ લાખનું યોગદાન આપે છે. વૃક્ષ પ્રત્યક્ષ અને પરોક્ષ કાર્યો અંગેના અભ્યાસમાં બહાર આવ્યું છે કે, એક વૃક્ષ 50 વર્ષના આયુષ્યમાં રૂ.2.50 લાખનો પ્રાણાવાયુ ઉત્પાન્ન કરે છે અને 5 લાખની હવાના પ્રદુષણનું નિયંત્રણ, રૂ. 2.50 લાખનું જમીનના ધોવાણ અટકાવે, રૂ. ૩ લાખના પાણીનો સંગ્રહ અને ભેજનો સંગ્રહ, રૂ. 2.50 લાખ પશુ-પંખીનો ચારો-આશ્રય અને રૂ. 2 હજાર પ્રોટીન પરિવર્તન એટલે કે ખોરાક આ કુલ રૂ. 15.70 લાખના મૂલ્યનું યોગદાન આપે છે.

આવા મહામૂલા સંત જેવા પરોપકારી વૃક્ષની મહત્તા સમજી તેનો ઉછેર અને જાળવણી કરવી પડશે. સમગ્ર જીવસૃષ્ટી અને માનવીના રોજબરોજના જીવન તથા જન્મણથી મરણ સુધી આ જીવન વૃક્ષ સંકળાયેલું છે. વૃક્ષ પર્યાવરણ સાથે ઘનિષ્ઠ રીતે સંકળાયેલ છે પરંતુ લોકો તેની તરફ દૂર્લક્ષ સેવીને અવગણના કરે છે. જેના પરિણામે આજે ગ્લોબલ વોર્મિંગ આવી ગયું છે. ઋતુઓ બદલાઇ રહી છે. વરસાદ અનિયમિત, વાવાઝોડા જેવી વિકટ સમસ્યામઓ વિકરાળ બની રહી છે. ઉષ્ણતામાન વધી રહ્યું છે. હવાનું પ્રદુષણ, પાણીનું પ્રદુષણ વધી રહ્યું છે. હવાનું પ્રદુષણ સૌથી ખતરનાક છે. કેમકે ઓઝોન પડમાં પણ ગાબડા પડી રહયા છે. આ હવાના પ્રદુષણ માટે વૃક્ષ ઉછેર એ જ સૌથી શ્રેષ્ઠ ઉપાય છે. આજે આજના વિશ્વ પર્યાવરણ દિવસે સંકલ્પ લઇને વૃક્ષ ઉછેર અને વૃક્ષ જતનની પ્રતિજ્ઞા લઇએ.

રાશિ, નક્ષત્ર, ગ્રહ, મુજબના વૃક્ષનો ઉછેર કરે છે. 12 રાશિ, 27 નક્ષત્ર, નવ ગ્રહો મુજબના વૃક્ષો ઉછેરીને તેની ઉપાસના કરી કૃપા મેળવી શકાય. રાશિ માટેના વૃક્ષની જાણકારી આપતી પુસ્તિકા વન વિભાગે બહાર પાડેલી છે અને રાજ્ય સરકારે તો ગુજરાતના પાટનગર ખાતે રાશિ અને નક્ષત્ર વન ઉભું કર્યું છે.

વૃક્ષો ગ્રામીણ અર્થતંત્રનું કરોડરજ્જુ છે. ગુજરાત રાજ્ય ઔદ્યોગિક ક્ષેત્રે હરણફાળ વિકાસ કરી રહ્યું છે. તેના કારણે રોડ, રેલવે, મકાન બાંધકામ, કારખાનાના પ્રમાણમાં ખુબ વધારો થયો છે. જેથી હવા પાણી, જમીન, વાયુ પ્રદુષણ, અવાજના પ્રદુષણ, મોટા પ્રમાણમાં ફેલાઇ રહ્યું છે. કેમીકલ ફેક્ટરીઓ, વાહનના ઝેરી ધુમાડાથી હવાનું પ્રદુષણ વધી રહ્યું છે.

આ પ્રદુષણો દૂર કરવા સરકાર ગમે તેટલા રૂપિયા ખર્ચ કરે તો પણ હવાનું શુદ્ધિકરણ પ્લાન્ટ નાખી શકાય નહીં. માત્ર વૃક્ષ એક જ કુદરતનો એવો પ્લાન્ટ છે જે હવાનું શુદ્ધિકરણ કરવાની ગરણી માત્ર વૃક્ષો જ છે. પ્રતિદિન વૃક્ષો વિનામૂલ્યે હવાને શુદ્ધ કરે છે. આમ, વૃક્ષ એક જ એવું સાધન છે. પ્રદુષણ ઘટાડીને પર્યાવરણ જાળવણીમાં સંત જેવું પરોપકારી કામ કરે છે. ચાલો આપણે સૌ પર્યાવરણની જાળવણી માટે વૃક્ષ વાવેતર કરીએ અને મહત્તમ વૃક્ષ ઉગાડીએ.

આજનો માનવી પોતાની સુખસુવિધા માટે વાહન, એ.સી.ગ્રીન હાઉસ જેવા સાધનો હવાનું પ્રદુષણ કરે છે. ખોરાકનો બગાડ પણ પ્રદુષણ છે. પાણીનો બગાડ પણ અટકાવીએ, પ્લાસ્ટીકનો ઉપયોગ એ જમીનના પ્રદુષણ માટેનું સૌથી ખતરનાક સાધન છે, પ્લાસ્ટીક થેલીઓ/પાઉચ છે. આ પ્લાસ્ટીકસ જમીનમાં 400 વર્ષ સુધી ઓગળતું નથી. જમીન બિનફળદ્રુપ બને છે અને પાક ખેતી માટે નકામી બની જાય છે. જેથી જમીન હવા પાણીના બચાવ માટે આપણે સૌ કટિબદ્ધ બનીએ.

આવો, આજના વિશ્વ પર્યાવરણ દિવસે વૃક્ષનું મહત્ત્વ સમજી વૃક્ષ વાવીએ અને પ્રદુષણમુક્ત વાતાવરણ માટે પ્રતિજ્ઞાબદ્ધ થઈએ અને વિશ્વ ગ્લોબલ વોર્મિંગના સાંપ્રત સમયને પારખીને પર્યાવરણ જાળવણી માટે સંકલ્પબદ્ધ બનીએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *