ચિકનગુનિયાની સારવારમાં અપનાવો આ ઘરેલુ ઉપચાર: જાણો શું ખાવું અને શું ન ખાવું?

કોરોના મહામારીની સાથે સાથે અન્ય બિમારીના કિસ્સા પણ વધી રહ્યા છે. શહેર અને ગામડાઓમાં ચિકનગુનિયાથી પીડાતા દર્દીઓનું પ્રમાણ વધી રહ્યું છે. તો શું ચિકનગુનિયાની સારવાર માટે ઘરેલું ઉપચાર શક્ય છે કે નહીં તે સંદર્ભે નવસારીની સરકારી આયુર્વેદિક હોસ્પિટલના ડો. ઉર્વિ પટેલ કેટલાક ઘરેલુ ઉપચાર જણાવે છે.

સૌ પ્રથમ જાણીએ ચિકનગુનિયાના મુખ્ય લક્ષણો વિશે:

  • ચિકનગુનિયામાં સતત તાવ આવવો
  • સાંધામાં દુખાવો થવો
  • ભૂખ ન લાગવી
  • એકાએક વાયરલ લોડ વધી જવાથી વોમિટ થવી
  • શરીર પર ચાઠા પડવા

ચાલો હવે જાણીએ ચિકનગુનિયાથી બચવા માટે ક્યા પ્રકારના ઘરેલુ ઉપાયો કરી શકાય.

સૂંઠ ,આદુનો પાવડર

સૂંઠ મોટાભાગે દરેક રસોડામાં જોવા મળે છે અડધા અથવા એક ગ્રામ જેટલા સૂંઠના પાવડરનું દિવસમાં ત્રણ વખત સેવન કરવામાં આવે તો ચિકનગુનીયા જેવા રોગમાં તે અસરકારક નિવડે છે. સૂંઠ નો પાઉડર સાંધાના દુખાવા મટાડવા ઘણો ઉપયોગી છે તેમજ તેનાથી ભૂખ પણ વધુ લાગે છે. જેના શરીરની તાસીર ગરમ હોય અને પીત પ્રકૃતિ હોય એટલે કે શરીરમાં ગરમીનું પ્રમાણ વધુ હોય તેવા વ્યક્તિઓએ સૂંઠને દુધમાં નાંખીને પીવું જોઈએ.

ગિલોય

ગિલોય દરેક પ્રકારના વાયરલ ફ્લુમાં ખૂબ જ અસરકારક નિવડે છે. વાયરલ પેથોલોજીમાં ગિલોયનું સેવન શ્રેષ્ઠ માનવામાં આવે છે. ગિલોયના વિવિધ પ્રકારો જેવા કે ગિલોય ચૂર્ણ, ગિલોયની સંસમની વટી, ગિલોયના ક્વાથ જે બજારમાં મોટા પ્રમાણમાં જોવા મળે છે.આ ગિલોયનુ સેવન દિવસમાં ૩ થી ૫ વખત કરી શકાય છે.

ગંઠોડા

ગંઠોડાના ચૂર્ણને પણ એક ગ્રામ જેટલી માત્રામાં દિવસમાં ત્રણ વખત પાણી સાથે લઇ શકાય છે.વૈધની સલાહ મૂજબ તેને ભૂખ્યા પેટે જ લેવું જોઈએ. ગરમ તાસીર ધરાવતા વ્યક્તિએ આ તમામ ઔષધિઓ દૂધ સાથે લેવાનો આગ્રહ રાખવો જોઈએ.

લીમડો અને હળદર

લીમડો અને હળદર શરીરમાં ચામડીને લગતા રોગો માટે આયુર્વેદમાં શ્રેષ્ઠતમ માનવામાં આવે છે. લીમડા અને હળદરના મિશ્રણનો લેપ ચામડીના ગમે તે પ્રકારના રોગમાં ઘણું ઉપયોગી નિવડે છે.

શરીરમાં વધુ પડતા ચાઠા જોવા મળે ત્યારે બહુઉપયોગી લીમડા અને હળદરના મિશ્રણનો લેપ લગાવી શકાય છે. ચાઠા પડ્યા હોય ત્યાં બળતરા થતી હોય ત્યારે ફક્ત લીમળાનો ઉપયોગ કરવો હિતાવહ છે. બળતરા વધુ થતી હોય ત્યારે શુધ્ધ ઘીનો લેપ પણ લગાવી શકાય છે. નારીયેળના તેલમાં કપૂર નાખીને પણ તેનો લેપ લગાવી શકાય.

ધતૂરા, એરંડી, અને આર્કના પાંદડા

બાહ્ય ઉપચારમાં સર્વત્ર ઉપલ્બધ એવા ધતૂરા, એરંડી અથવા આર્કના પાંદડાનો ઉપયોગ કરી શકાય. શરીરમાં કપાઇ ગયેલા કોઇ ભાગ ઉપર આવા પાંદડા નો ઉપયોગ કરવો નહીં. તેલ લગાવીને ગરમ કરીને જે ભાગનાસાંધામાં પીડા થતી હોય તે ભાગમાં બાંધી શકાય તે વેદના નાશક તરીકે કામ કરે છે. ચાઠા પડ્યા હોય તે જગ્યાએ આ પાંદડાનો ઉપયોગ કરવો નહીં.

આ સિવાય બજારમાં ઉપલબ્ધ સંશમની વટી, યોગરાજ ગુગલુ, સંજીવની વટી, અશ્વગંધા ચૂર્ણ અને અશ્વગંધારીષ્ટનો ઉપયોગ કરી શકાય. દશમૂલ, અમૃતાદી, રાસ્નાદિ, પથ્યાદી ક્વાથ, ઉકાળાના સેવન દ્વારા રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે તેમજ વિવિધ રોગનાશક તરીકે પણ ઉપયોગી નિવડે છે.

સવારના કુમળા તડકાથી સાધાના દુખાવામાં થાય છે ફાયદો

ચિકનગુનીયા બિમારીમાં પ્રાકતિક ઉપચારમાં સવારના સમયે જે રોગીઓને વધુ માત્રામાં સાંધામાં દુખાવો થાય અથવા શરીર જકડાઇ જતું હોય તેવા દર્દીઓએ જાડું કાપડ ઓઢીને સૂર્ય સામે પીઠ કરીને બેસી જવું જોઈએ. આમ કરવાથી શરીરમાંથી પરસેવાનું વહન વધુ માત્રામાં થશે જે સાંધાના દુખાવામાં રાહત આપે છે. સ્વસ્થ વ્યક્તિએ ચાર થી પાંચ દિવસ આ કસરત કરવી જોઈએ.

ચિકનગુનિયામાં શું ખાવુ અને શું ન ખાવુ?

ચિકનગુનીયાના લક્ષણો ઘરાવતા દર્દીએ ઠંડી વસ્તુઓ જેવી કે દહી, છાંસ, ખાટી વસ્તુઓ, કોલ્ડ્રીંક અને ફાસ્ટ ફૂડ,જંક ફૂડ, મેંદાનુ સેવન અટકાવવું જોઈએ. તેની જગ્યાએ લસણ, ડુંગરી , હળદર, મેથી , ચોખા, આદુ, મૂળીનું સેવન કરવું જોઈએ. તેમજ આ પ્રકારના દર્દીએ પાણી પણ સતત ઉકાળીને જ પીવું જોઈએ. દિવસમાં ઊંઘવું નહીં અને રાત્રે ઉજાગરા કરવા નહીં.

બે થી ત્રણ દિવસમાં ઘરેલું ઉપચારથી જો ફાયદો દેખાય તો તરત જ ગુજરાત સરકારના આયુર્વેદિક ઔષધાલયનો સંપર્ક કરીને વૈધની સલાહ મૂજબ વર્તવું જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *