કોરોનાને કારણે પલ્મોનરી ફાઈબ્રોસિસથી પીડિત દર્દીઓ માટે ફિઝીયોથેરાપીની કારગર સારવાર

કોરોના વાયરસથી સંક્રમિત થનાર તથા તેના સંક્રમણમાંથી બહાર આવનાર વક્તિને શ્વાચ્છોશ્વાસની પ્રક્રિયામાં થતી તકલીફોને નિવારવા માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ફિઝીયોથેરાપી દ્વારા ઉત્તમ કક્ષાની સારવાર આપવામાં આવી રહી છે. આ ફિઝીયોથેરાપી સારવારથી સંજીવની સમાન પરિણામો પ્રાપ્ત થઈ રહ્યા છે. ફિઝીયોથેરાપીના માધ્યમથી અનેક દર્દીઓને નવજીવન અને રાહત મળી છે.

રાજકોટ સિવિલ હોસ્પિટલના ફિજીયોથેરાપીસ્ટ ડો. પારસ જોશી જણાવે છે કે, કોરોના વાઇરસ સીધા જ ફેફસાંને અસર કરે છે અને શ્વસનમાં મુશ્કેલી ઊભી કરે છે. પરિણામે વાયુકોષોની વાયુની આપ-લે કરવાની ક્ષમતા ઓછી થઈ જાય છે. જેને તબીબી ભાષામાં ‘પલ્મોનરી ફાઈબ્રોસિસ’ થયું તેમ કહે છે. ફેફસાનાં જેટલા ભાગનાં વાયુકોષોમાં ફાઈબ્રોસિસ થાય છે તેટલો ભાગ નિષ્ક્રિય બની જાય છે. ફેફસાનું મુખ્ય કાર્ય શ્વસન કરવાનું છે. કોરોનાના ગંભીર કેસોમાં શ્વાચ્છોશ્વાસની ક્રિયામાં રૂકાવટ થતાં શરીરને મળતો ઓક્સિજન પુરવઠો અટકે છે જેથી મૃત્યુનું જોખમ રહે છે. આવા દર્દીઓની રીકવરી દરમ્યાન માટે ફિઝીયોથેરાપી સંજીવની સમાન સાબિત થાય છે.

કોરોનાના ઘણા દર્દીઓ સતત બેડમાં સુતા રહેવાના કારણે તેઓની શારીરીક હલનચલનની પ્રક્રિયા ઓછી અથવા નહિંવત થઈ જાય જેને ડી-કંડીશનીંગ કહેવાય છે. જેને કારણે કાર્ય કરવાની તથા સ્નાયુઓની ક્ષમતામાં ઘટાડો થાય છે. ફેફસાની સ્થિતિસ્થાપકતામાં ઘટી જાય છે. હલનચલન ન થવાના લીધે પગના ભાગમાં લોહી ગંઠાઈ જતુ હોય છે. આવી નાની મોટી તમામ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અમારા સુપ્રિટેન્ડન્ટ આર.એસ.ત્રિવેદી તથા ડો. પંકજબુચના માર્ગદર્શન હેઠળ રાજકોટ સિવીલ ખાતે કોરોનાના દરેક દર્દી માટે અમે ટેઈલર મેઈડ ફિઝીયોથેરાપી આપીએ છીએ. મતલબ દરેક દર્દીને તેની તાસીર, શારીરીક ક્ષમતા અને જરૂરીયાત મુજબ અલગ અલગ કસરત કરાવવામાં આવે છે, તેમ ડો. જોષીએ જણાવ્યું હતું.

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં તબીબોએ કોરોના સંક્રમિત દર્દીઓના ફેફસાંને મજબૂત કરવા સ્પાઈરોમેટ્રી કસરત, પ્રોનિંગ થેરાપી જેવી તબીબી જગતમાં બ્રીધિંગ એક્સરસાઈઝ તરીકે પ્રચલિત આ પ્રકારની કસરત દ્વારા કોરોના દર્દીઓના ફેફસાં મજબુત અને સુદ્ઢ કરવા માટે અપનાવવામાં આવી છે. આ કસરત નિયમિતપણે કરાવવાથી તેમના સ્વાસ્થ્યમાં ઘણો સુધારો થયો છે. અને ઝડપી રિકવરી લાવવામાં ફાયદો થયો છે. કસરત દ્વારા ફેફસાં વેન્ટિલાઈઝડ થાય છે જેથી  ધીમા અને ઊંડા શ્વાસ લેવામાં મદદરૂપ થાય છે.

મેડીસીન વિભાગ, એનેસ્થેસિયા વિભાગના સંકલનથી અને વરીષ્ઠ ડોક્ટરોના સહયોગથી દર્દીઓને બહારથી અપાતા ઓક્સિજનના પ્રમાણનો અભ્યાસ કરીને અમે ફિઝીયોથેરાપી આપીએ છીએ. ફિઝીયોથેરાપી ટ્રીટમેન્ટના કારણે દર્દીમાં કુદરતી રીતે ઓક્સિજન ગ્રહણ કરવાની ક્ષમતામાં વધાો થાય છે જેથી બહારથી અપાતા ઓક્સિજનની બચત થાય છે. જેના કારણે ઘણો બધો ઓક્સિજન અમે બચાવી શક્યા છીએ.

કોરોનામાંથી સ્વસ્થ થયેલા લોકોને  જે દર્દીઓને કોરોના બાદ ઓક્સિજન લેવામાં મુશ્કેલી પડતી હોય, શ્વાસ ચડતો હોય તેવા દર્દીઓને પોસ્ટ કોવિડ પલ્મોનરી રીહેબીલીટેશન કરવું જરૂરી છે. એક મહિનાની આ ટ્રીટમેન્ટમાં તેના શરીરની કાર્યક્ષમતામાં વધારો કરવા વિવિધ પ્રકારની કસરત કરાવવામાં આવે છે.

જે લોકો અત્યાર સુધીમાં કોરોના સંક્રમિત નથી થયા તેવા લોકોએ પણ 30 મિનીટ સુધી ચાલવું, દોડવું, સાયકલ ચલાવવી જેવી ક્રીયાઓ સહિત પ્રાણાયમ અને યોગ પણ કરવા જોઈએ. આ કસરતની સાથે સાથે યોગ્ય સમતોલ આહાર, સમપ્રમાણમાં પુરતી ઉંધ જરૂરી છે. તમામ લોકોએ સવારે અથવા સાંજે 10 મિનીટ મેડીટેશન પણ કરવું જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *