કોંગ્રેસમાં વિખવાદ વચ્ચે સિદ્ધુ મળ્યા હાઈકમાન્ડને, કહ્યું – પંજાબ વિરોધી દળો પરાજિત થશે

પંજાબમાં મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ અને નેતા નવજોત સિંહ સિદ્ધુ વચ્ચેના તણાવને સમાપ્ત કરવા માટે પાર્ટી હાઈકમાન્ડ સક્રિય થયું છે. તે સંબંધમાં રાજધાની દિલ્હીમાં હાઈકમાન્ડની એક બેઠકનું આયોજન થયું હતું, જેમાં નવજોતસિંહ સિદ્ધુને બોલાવવામાં આવ્યા હતા. મુલાકાત બાદ સિદ્ધુએ કહ્યું કે સત્યને ક્યારેય પરાજિત કરી શકાતું નથી. આ દરમિયાન નવજોતસિંહ સિદ્ધુની સાથે કોંગ્રેસના કેટલાક ધારાસભ્યો પણ હાજર હતા.

મંગળવારે હાઈકમાન્ડને મળ્યા બાદ સિદ્ધુએ કહ્યું કે, ‘હું અહીં ગ્રાઉન્ડ લેવલથી હાઈકમાન્ડ સુધી લોકોનો અવાજ રજૂ કરવા આવ્યો છું. લોકશાહીની શક્તિ પર મારો મત સ્પષ્ટ છે. લોકોની સત્તાને લોકો સુધી પહોંચવું જોઈએ. મેં સાચું કહ્યું છે.’ મીડિયા રિપોર્ટ્સ અનુસાર સિદ્ધુએ આ દરમિયાન કહ્યું હતું કે સત્યને ક્યારેય પરાજિત કરી શકાતું નથી, અમારે પંજાબ જીતવું છે. તેમણે કહ્યું છે કે પંજાબ વિરોધી તમામ તાકાતનો પરાજય થશે.

સોનિયા ગાંધીએ પંજાબ કોંગ્રેસના નેતાઓ વચ્ચેના વિવાદના સમાધાન માટે એક ટીમની રચના કરી છે. આ સમિતિએ સોમવારે પહેલીવાર બેઠક યોજી હતી, જેમાં પાર્ટીના 25 ધારાસભ્યોને બોલાવાયા હતા. પાર્ટીના ટોચના નેતૃત્વ દ્વારા તૈયાર કરવામાં આવેલી ટીમનું નેતૃત્વ ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા હરીશ રાવત કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *